400 વર્ષ જૂના મંદિર શ્રી ગેડિયા કાળીયા ઠાકરની જગ્યાનો ઈતિહાસ
શ્રી ગેડિયા કાળીયા ઠાકરની જગ્યાનો ઈતિહાસ
જયશ્રી કાળીયા ઠાકરની જગ્યા-ગેડિયાધામ
ગુજરાતની પશ્ચિમે સૌરાષ્ટ્ર નામનો એક ભાગ છે. તેમાં ચાર વિભાગો છે. તેની પ્રતાપી ભૂમિમાં અનેક સૂરા અને સંતો થઈ ગયા છે. વાહ, શું દેવ ભૂમિ ! તેમાં ઝાલાવાડ વિભાગમાં દસાડા તાલુકો છે. તેની અંદર બાણું ગામો છે, તેમાં ગેડિયા એક રળિયામણું અને સુંદર ગામ છે.
જ્યાં આગળ કાળિયા ઠાકરનું જગપ્રસિદ્ધ મંદિર છે, શું તે મંદિરની શોભા ! જાણે ભગવાનશ્રી વિષ્ણુ ત્યાં જ રહેતા હોય. શ્રી મહાદેવજીની કૈલાસ ભૂમિ ત્યાં ઉતરી હોય કે ઇન્દ્રે પોતાનું સ્વર્ગ ત્યાં જ ખડું કર્યું હોય, તેવું રળિયામણું લાગે છે. મંદિરમાં શ્રી કાળવાનાથની શોભતી મૂર્તિ બ્રહ્મચારી રૂપે જાણે હમણાં આપણી સાથે વાતો પણ કરશે એવું પ્રતિત થાય છે. જેની શ્રદ્ધા છે તેઓની સાથે વાતો પણ કરે છે.
એ ઇતિહાસ ભક્તો સાથે વાતો કરવાથી જાણવા મળશે, એવી આ મનહર મૂર્તિ મંદિરમાં શોભી રહી છે. આવા સુંદર મંદિરની ગાદીએ, એવા સંતો થઈ ગયાં અને તેમની જીવનલીલા આનંદદાયક અને ભક્તિમય જીવન હોવાથી તેમને અનેક પરચાઓ આપેલ છે.
વહાલાં વાચકો આ ગાદી ઉપર અનેક સંતો થઈ ગયા છે. પરંતુ તેમાંની જેટલી વાતો મને મળી છે, તે હું આપની પાસે રજૂ કરું છું.
અહીંથી આશરે બસો માઈલ ઉપર ઉત્તરમાં ઓધડની થળી નામની જગ્યા છે, ત્યાંના મહાન સંતો રૂગનાથપુરી તથા પોપટપુરી બંને જણા દ્વારકાની યાત્રાએ નીકળ્યા હતા. એ મહાન સંતો જંગલને પણ મંગલ માની પગે ચાલી યાત્રાએ જતાં હતા. જ્યાં સ્થાન અનુકૂળ પડે ત્યાં વિશ્રામ કરતા હતા. આજુબાજુના ગામડાઓમાં આ મહાન પુરુષોની જાણ થતાં અનેક નરનારીઓ તેમનાં દર્શન માટે આવતાં.
આવા મહાન પુરૂષોને તે ભગવાન મનમાં જ હોય પરંતુ પ્રભુની લીલા જોવા અને બીજાઓના ભલા માટે જ તે વિચારતા હોય છે. અહીંથી આશરે બારેક ગાઉ ઉપર ઝીંઝુવાડા નામે ગામ છે. તે બંને સંતો ત્યાં આવ્યાં તે વખતે મધ્યાનકાળ હતો. સૂર્યદેવ તેમનાં પૂર્ણ તેજે પ્રકાશી રહ્યા હતા. હરણોના માથા ફાટી જાય તેવો તાપ હતો. આ અતિ ગરમીને લીધે બંને સંતો વૃક્ષ નીચે વિશ્રાંતિ લેતા હતા.
તે વખતે ઝીંઝુવાડા ગામના ગીરાસદારો જે ઝાલા દરબારોની અટકથી ઓળખાય છે. તે ઝાલા યોગરાજજીનાં પાંચ કુમારો તથા એક બેન ચાંપબા, તેમાંના મોટા દીકરા સામંતસિંહ ઉર્ફે છઠાજી તથા નાના દીકરા અંબેકુમાર ઉર્ફે આંબાજી તે બંને કુમારો શિકાર અર્થે નીકળેલા. તેઓ ફરતાં ફરતાં ઝીંઝુવાડાના વીડમાં હરણીનો શિકાર કરીને તરસ્યા થયાં હોવાથી તે શિકાર બાજુમાં છુપાવી વીડમાં સજીવંત કુંડે પાણી પીવા ગયા ત્યારે પાણીના ઉપર આસન વાળી, બંને મહાન સંતો રૂગનાથપુરી તથા પોપટપુરીને જોયા. આ સંતો ઓધડનાથની થરીના હતા. તે બંને સંતોને જોતાં છઠાજી તથા આંબાજીને થયું કે આ સંતોનાં વેશમાં દેવ છે, એવું માની સંતોના પગમાં પડી ગયા. એટલે સંતોએ કહ્યું કે, તમે પાપી લોકો છો. અમારાથી છેટા રહો, તમે જે શિકાર કરીને આવેલા છો તે હરણી બચ્ચાવાળી હોવાથી બચ્ચાને ધવડાવવા ગઈ. આ વાત સાંભળતાં બંને ભાઈઓને આશ્ચર્ય થયું કે ચાલો આપણે નક્કી કરીએ.
નક્કી કરતાં ત્યાં જઈને જોયું તો લોહીથી રંગાયેલી જમીન જોવા મળી. છઠાજી તથા આંબાજી બંને કુમારો પાછા આવીને અંતોના ચરણોમાં પડી દંડવત કરી કહેવા લાગ્યા કે, અમારા પાપી દેહનો ઉદ્ધાર કરો અને અમને ઉપદેશ આપો. અમારે રાજપાટનો ત્યાગ કરવો છે, આપના શિષ્ય બનાવો અને અમારો ઉદ્ધાર કરો.
સંતોએ કહ્યુ કે તમે તમારા માતા પિતાની આજ્ઞા લઇ આવો, બન્ને ભાઇઓ ઝીઝુવાડા આવી દરબાર ભર્યો, માતા પિતાએ આજ્ઞા આપી, અને તે સંતો પાસે આવ્યા, છઠાજીએ સંન્યાસ ધારણ કર્યા અને ગુરુએ સિધ્ધયોગ આપ્યો. આંબાજીએ કહ્યુ કે મારે સન્યાસ ધારણ કરવો નથી, ભક્તિયોગમા રહી પ્રભુનું પુજન કરવુ છે, ગુરૂએ તેમને સિધ્ધયોગ પ્રાપ્તિ આપી અને સિધ્ધયોગનું વચન આપી પાટપુજા આપી, બન્ને ભાઇઓ ગુરુની આજ્ઞા પાળવા ચાલી નીકળ્યા, આંબાજી તથા છઠાજી ફરતા ફરતા કામલપુર (જતવાડનુ )ગામની સીમમા જુનુ ફાટસર નામના તળાવ નજીક ભરવાડનો નેસ હતો, જેમાં મેરા ભગત નામના ભરવાડ નેશના આગેવાન હતા, એ નેશની બાજુમાંથી છઠાજી અને આંબાજી પસાર થયા ત્યારે મેરા ભગતની નજર તેમના પર પડતા એમણે મહેમાનગતી કરવા અને રોટલા પાણી કરીને આરામ કરવા વિનંતી કરી, બંને સંતો જમવા રોકાયા મેરા ભગતે સંતોની ખૂબ ભાવપૂર્વક સેવા ચાકરી કરી, સંતોએ વિચાર્યું કે મેરા ભગત કોઈ પુણ્ય આત્મા લાગે છે ગુરુએ આપેલ પાટપુજા આમને આપીએ તેમણે મેરા ભગતને પાટપુજા આપી, મેરા ભગતે અને તેમની પત્નીએ પાટપુજા પ્રેમથી સ્વીકારી લીધી, મેરા ભગત નેસડા સાથે સાથે પાટપુજા ફેરવતા અને ઠાકર ના પાઠ ની સેવા પૂજા કરતા.
મહંતશ્રી ભગવાનદાસ બાપાનો ઇતિહાસ
ભારદાસજી બાપા પછી તેમના દીકરા ભગવાનદાસજી બાપા ગેડિયાની ગાદીએ આવ્યા. તે વિરપુર જલારામ બાપાનો બીજો અવતાર હતો. પોતે ત્રિકાળ જ્ઞાની હતા. ભગવાનદાસ બાપા વિશે આપણે પરચાની વાતો જાણીએ. તેમનો સ્વભાવ બહુ શાંત હતો અને પ્રભાવશાળી ચહેરો હતો. તે પોતાનો ઘણો સમય સેવાપૂજામાં ગાળતા. રાત્રે પણ ઘણો વખતે ભજન કરતા હતા. તેમને અફીણનું બંધાણ હતું. ગામમાં બંધાણીનો ડાયરો પણ હતો. સવારે સેવાપૂજા કર્યા પછી બંધાણી મંડળ સાથે કસુંબો લેતા, તે વખતે ગામડામાં ચાનો રિવાજ ન હતો. તેથી બુંદ દાણાનો કાવો બનાવતા અને કસુંબો લીધા બાદ તેમના માતૃશ્રી જમનામા જમવા બોલાવે ત્યારે જ ઘેર જતાં. એક સમયે તેમનાં માતૃશ્રીને ખબર આપ્યા કે બંધાણીઓ ગામમાંથી જ બેસવા આવ્યા છે. તે તેઓને આપણે ત્યાં જમાડવાના છે, તે માતાજીએ કંસાર બનાવ્યો. ઘી તો ઘરનું જ હતું અને ઘીનું તપેલું ચૂલા ઉપર ગરમ કરવા મૂક્યું અને બાજુના ચૂલા ઉપર પાણી ગરમ મૂક્યું અને જમવાનો સમય થયો એટલે પટેલનો ડાયરો તથા ભક્ત શ્રી જમવા ઊઠયા અને કલ્યાણ રાતને (રાત એટલે વાળંદ) ભગતે પીરસવાનું કહ્યું, એટલે તેમણે કંસાર પીરસ્યો. ઘીના બદલે વાઢીમાં ભૂલથી પાણી ભરીને પીરસી દીધું. તમામ જમી રહ્યાં. ચરૂ કરતી વખતે જમના માતાજીએ કહ્યું કે, ચરૂ કરવાનું પાણી ગરમ મૂક્યું છે. તો જઈને રસોડામાં જોયું તો ઘીનું તપેલું ભરેલું દીઠું એટલે કલ્યાણ રાતને પૂછતાં જણાયું કે ઘીના બદલે પાણી પીરસાયું છે, જમનારને પૂછતાં જણાયું કે તે તો ઘી જ હતું અને વાઢીમાં જે વધ્યું હતું તે પાણી થઈ ગયું. જમ્યા પછી તમામ ડાયરો ડેલીએ આવ્યો. સોપારી ભાંગીને સૌને કટકા વહેંચવા માંડ્યા. ગામના બાળકો દોડીને બાપા પાસે આવ્યા અને બોલવા માંડ્યું કે બાપા મને કટકો આપો. બીજું કહે મને કટકો આપો, તે વખતે કલ્યાણ રાતને દીકરો ન હતો અને દીકરી રતન નામે હતી. તે પણ કટકો લેવા આવી અને બોલી કે બાપા મને ભઈલો આપો. તે સાંભળી ભગવાનદાસ બાપાએ કટકો આપ્યો અને કહ્યું કે, આ કટકો તારી બાને આપી આવ. શ્રી ઠાકોરજી તને ભઈલો આપશે. તે કટકો કલ્યાણ રાતના ઘેરથી બાઈ વખતે ખાઈ ગયાં અને તેમને ઠાકોરજીએ દીકરો આપ્યો.
તે દીકરાનું નામ નારાયણ છે અને તેમના વંશજો હાલમાં છે. તેમની અટક ઓઢવિયા છે. આ મહાન સંત ભગવાનદાસજીના પરચા ઘણા છે. મને જે મળ્યા છે, તે હું આપની પાસે રજૂ કરું છું. એ સાથોસાથ ભગવાનદાસ બાપાનો ત્રીજો પરચો પણ છે.
સવારનો પહોર હતો. ઠંડો અને મંદ મંદ પવન વાતો હતો. સૂર્યનારાયણ પોતાનો સોનેરી પડદો આસમાનમાંથી ફેંકી રહ્યા હતા. બંધાણીઓ મંદિર સામા ચાલ્યા આવતા હતા. ભગવાનદાસજી સેવાપૂજા કરીને બેઠા હતા. ડાયરાના માણસો લગભગ આવી ગયા હતા. ત્યાં તેમના ભાઈ મૂળદાસંજી સ્વભાવે ગમ્મતી આનંદી હોવાથી બોલ્યા કે મને સારી ઘોડી લાવી આપો. એટલે ભગવાનદાસ બાપા બોલ્યા કે ઠાકોરજી ઘોડી લાવશે. વહાલા વાચકો હવે આપણે ઘોડી વિશે ઠાકોરજીનો પરચો જોઈએ.
કાઠિયાવાડમાં એક નાનું સરખું જસદણ તાલુકાનું ફૂલઝર ગામ છેઃ તેમાં એક કાઠી દરબાર રહેતા હતા. તે ત્યાંના ગીરાસદાર હતા. તેમને ઘેર દીકરો નહીં હોવાથી ઠાકોરજીની બાધા રાખી હતી કે જો મારા ઘેર ઠાકોરજી દીકરો આપશે તો હું ગેડિયા મંદિરમાં વછેરી જે જાતે રેડી છે તે મોકલીશ. એટલે કાઠી દરબારને ત્યાં ઠાકોરજીએ દીકરો આપ્યો. પણ વછેરી રૂપાળી હોવાથી કાઠી દરબારનું મન પલટાયું કે આ વખતે બીજું ઠાણ મોકલીશું તે વાતને ઘણો વખત વીતી ગયો પણ થોડી મોકલી નહિ. એટલે તે કાઠીનો દીકરો મરણ પામ્યો અને તે પણ પુત્રના વિયોગે મરણ પામ્યો હતો. હવે તે ઘોડી કાઠી દરબારની દીકરી જેનું સાસરું સુદામડા ગામે હતું ત્યાં મોકલી આપી. હવે અહીં તેનાં જમાઈને ઘોડી મળી ત્યારથી અનેક ઉપાધિઓ આવવા લાગી. છેવટે કાઠીને વહેમ આવવાથી તેઓએ સૂરજદાદા પાસે પ્રાર્થના કરી, સૂરજદેવ એવો મારો શો અપરાધ છે કે હું દિન-પ્રતિદિન દુઃખી થતો જાઉં છું.
તે જ રાત્રે કાઠી દરબાર ભરનિંદ્રામાં સૂતો હતો. શિયાળાની કડકડતી ટાઢ હતી અને તેને બાવડું પકડીને કોઈએ બેઠો કર્યો અને કહ્યું કે, હે અજાણ માણસ, તારા સાસરેથી ઘોડી આવી છે તે ઘોડી ગેડિયા ઠાકોરજીના મંદિરમાં આપી આવ. નહિ તો તારી દશા તારા સસરા જેવી થશે. એવું સૂરજદેવે સપનામાં કહ્યું કે, તુરત જ કાઠી ઝબકીને જાગી ઊઠ્યો અને તેના ઘેરથી બાઈને જગાડયા. સપનાની સર્વે વાત કહી સંભળાવી. તે બાઈને પણ તુરત જ યાદ આવ્યું કે મારા બાપુએ, ઠાકોરજીની બાધા રાખી હતી તો તમો સવારે વહેલા ઊઠી ઘોડી ઉપર સારા સામાન માંડીને ગેડિયા જાઓ અને ઠાકોરજી પાસે માફી માગજો, સવાર પડતાં જ વહેલા ઊઠી ઘોડીને સારી શણગારી રવાના થયા.
ચાલતાં ચાલતાં ગેડિયાથી છેટે દોઢ ગાઉ ઉપર આવેલું નાગડકા ગામ છે અને તે બજાણા તાબામાં છે, ત્યાં આવતા કાઠીને વિચાર આવ્યો કે સપનાનો ભ્રમ તો નહિ હોયને. જો આ ઘોડી છૂટી ચાલીને મંદિરમાં જાય તો સપનું સાચું મનાય. એવો વિચાર આવતાં તુરત જ ઘોડીને છૂટી કરી દીધી અને તે કાઠી ઘોડીની પાછળ પાછળ ચાલતો થયો. તે વખતે ગેડિયા મંદિરમાં ભરચક ડાયરો જામ્યો હતો. કસુંબા ઘોળાઈ રહ્યા હતા. એવામાં મૂળદાસજીએ દરરોજની જેમ માંગણી કરી કે મોટાભાઈ તમે કહો છો કે ઘોડી બાપા લાવશે તેવા ખોટા બહાના આપી ઘોડી લાવી આપતા નથી. તે સાંભળતાં ભગવાનદાસ બાપાએ કહ્યું કે, હમણાં ઘોડી આવશે. આ સાંભળતાં ડાયરો હસવા લાગ્યો. અમુક તો બોલવા પણ લાગ્યા કે આજે અફીણ કાંઈ વધુ લેવાયું છે. એટલે ભગવાનદાસજી બોલ્યા, હું ખરું કહું છું. ખાત્રી કરવી હોય તો નાગડકાના મારગે જઈને જુઓ. ચાલો જઈએ, હમણા જઈ તેવી વાતો ચાલી રહી છે એવામાં ઘોડી જોશભેર આવી અને ઠાકોરજીના ઓરડા સામે માથું નમાવી ઊભી રહી. તેવામાં એક જણ બોલ્યો કે આ તો અસવારને પાડીને આવી છે કે શું જુઓ તો ખરા ? એવામાં કાઠી દરબારે દરવાજામાં આવીને રામ રામ કર્યા. ડાયરામાં બેઠા પછી ઘોડીની સર્વે હકીકત કહી સંભળાવી. મૂળદાસજીને ઘોડીનું રૂપ જોતાં આનંદનો પાર રહ્યો નહિ અને ઘોડીમાં રૂપ પણ એવું જ હતું.
મહંતશ્રી રવિદાસ બાપાનો ઇતિહાસ
રવિદાસ બાપુ ગાદીએ આવ્યા પછી તેમના ઘરે ભગવાનદાસ બાપાએ કહેલું કે દીકરાનો જન્મ થશે. બાપુના કહ્યા પ્રમાણે દીકરાનો જન્મ થયો. તેમનું નામ જીવીદાસજી રાખવામાં આવ્યું. તેમની જન્મ તા: ૩-૯-૧૯૨૦ છે.
ત્યાર પછી ભગવાનદાસજી બાપાનો ટુકડો સંવત ૧૯૭૭ની સાલમાં કર્યો ત્યાર પછી ભગવાનદાસજી બાપુમાં જમનામાનો ટુકડો સંવત ૧૯૯૦નાં પહેલા વૈશાખ સુદ-૧૩ને શુક્રવારના રોજ ટુકડો મહંતશ્રી રવિદાસજી બાપાએ કર્યો હતો. રવિદાસ બાપુને જૂની સલાહમાં માતાજીનો એટલે જમનામાનો બહુ ટેકો હતો. તે પણ ભગવાનદાસજી પાછળ દેવલોક પામ્યા હતા. તે વખતે રવિદાસજીએ ટુકડો કર્યો હતો. એ વખતે એવો પ્રસંગ બન્યો કે પહેલી જ પંગતે બસો મણ શીરો ખલાસ થઈ ગયો. પીરસનાર દોડતો આવ્યો અને અગ્રેસરને કહ્યું કે, બસો મણ શીરો ખલાસ થઈ ગયો અને આ કરતાં હજુ ચાર ગણા માણસો બાકી છે. આ સાંભળી સૌ ગભરાયા અને ભોલ્યા: પૂ સુખડીની બે ચાચરી ભરી છે. એક સાંઈઠ મણની બીજી ચાલીશ મણની છે. તેમાંથી પીરસવા માંડો. ત્યારે પીરસનારે કહ્યું કે, સુખડી પ્રસાદીની છે અને ઠાકોરજીને થાળ ધરાવ્યો નથી. તે વખતે આરતીનો સમય હતો.
રવિદાસ બાપુ આરતીની શરૂઆત કરતાં હતા ત્યાં બે માણસ એકદમ દોડતાં ગયા ને કહ્યું કે, સુખડીનો થાળ ઠાકોરજીને ધરાવી લો કારણ કે માલનો તુટો આવ્યો છે. એટલે સુખડી પીરસવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે રવિદાસજી કહે હવે તો થાળે થાળ એ તો ઠાકોરજી લાજ રાખશે અને સુખડી પીરસાણી. ચાલીસ મણની તો ચાચર જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પછી બીજી ચાચરમાં પણ આશરે પંદર મણ જેટલી સુખડી રહી અને માદાસ અડધું જમ્યા વગર બાકી હતું. ત્યારે રવિદાસજી આરતી કરી રહ્યા હતા. ત્યારે માણસે આવી ખબર આપી કે બાપા સુખડી આશરે પંદર મણ જેટલી રહી છે અને માણસો અડધા જમ્યા છે અને અડધા હજુ બાકી છે.
જય કાળવાનાથ કહી રવિદાસજી ચાચર પાસે ગયા અને પોતાની ચાદરનો છેડો ચાચર ઉપર ઢાંક્યો અને સુખડીના સુંડલે સુંડલા ભરવા માંડયા. તમામ માણસો જમી પરવારીને ચાલ્યા ગયા અને પીરસનારે જોયું તો સુખડી તેટલી ને તેટલી જ રહી હતી. આ ચમત્કાર જોઈ પીરસનાર ચોંકી ઊઠયા કે બાપાએ આ શું કર્યું?
વહાલા વાચકો, આવા સંતો કળિયુગમાં પણ ગેડિયાની ગાદીએ થયાં છે. ત્યાર પછી બાપા રવિદાસજીએ ઘણો સમય ઠાકોરજીની સેવાપૂજા કરી અને તેમને વૃદ્ધા અવસ્થા આવી ગઈ. એટલે તેમણે સંવત ૨૦૧૦ની સાલમાં એવો વિચાર કર્યો કે મારાથી ઠાકોરજીની સેવા થઈ શકતી નથી. તેમના છ પુત્રોને ભેગા કરીને કહ્યું કે, મારાથી ઠાકોરજીની સેવાપૂજા થઈ શકતી નથી. એટલે મારે જીવીદાસજીને ગાદી સોંપવી છે. જન્માષ્ટમી ઉપર એ સમયે જીવીદાસજીએ કહ્યું કે, મારે પુત્ર નથી એટલે મારે મારાથી નાનાભાઈ કાળીદાસજીના મોટા પુત્ર નારાયણદાસજીને ખોળે લેવો છે.
એ સમયે તેમના માતૃશ્રી બાલુમાએ કહ્યું કે, તારી નાની ઉંમર છે. તો તને ઠાકોરજી કાલે દીકરો આપશે. જીવીદાસજી બાપુએ તુરત જ જવાબ આપ્યો કે, ઠાકોરજી દીકરો આપશે તો ગાદીના વારસદાર તરીકે નારાયણદાસજી રહેશે. એટલે બધાએ રાજીખુશીથી નારાયણદાસજીને ખોળે લેવાની હા પાડી. સંવત ૨૦૧૦ની સાલમાં શ્રાવણ વદી-૮ આઠમના દિવસે ગાદી સોંપી તે વખતે નારાયણદાસજીને ખોળે બેસાડીને તિલક કર્યું. ત્યાર પછી રવિકાસજી બાપુ શાંતિથી ભક્તિમય જીવન વિતાવવા લાગ્યા. જીવીદાસજી બાપુ ગાદીએ આવ્યા પછી છ મહિના ગાદી ભોગવી સંવત ૨૦૧૧ના ફાગણ વદી-૧૧-ને રાત્રે કહ્યું કે, મારે સમાધિ લેવી છે. તો મારા કોટવાળને બોલાવો.
એટલે તેમના કોટવાળ પટેલ હરણિયા કુટુંબના પટેલ મૂળજીભાઈ કાળીદાસભાઈ હતા. તે ગેરહાજર હોવાથી મોટા કોટવાળ ઠાકરશીભાઈ કાળીદાસને બોલાવી લાવ્યા. એટલે જીવીદાસજીએ કહ્યું કે, આ તો મારા બાવાના કોટવાળ છે. મારે તો કોટવાળનું કામ છે. તેમને કહ્યું કે, મારે સમાધિ લેવી છે. શ્રીફળ જોઈએ છે. એટલે કહ્યું કે, અત્યારે શ્રીફળ ન હોય, તમારી નાની ઉંમર છે, એ વખતે જીવીદાસજીએ જવાબ આપ્યો કે ઘરમાં ટાંકુ ખોલો. તેમાં શ્રીફળ પડેલું છે. એટલે ટાંકુ ખોલતાં શ્રીફળ હતું. તે સમયે ઘરના બધા કલ્પાંત કરવા લાગ્યા. કોઈએ રજા આપી નહીં.
તે વખતે ખેરવાના સેવકો પણ હાજર હતા. કોઈએ તેમને રજા આપી નહીં. એ વખતે સંત કાશીગીરીજી હાજર હતા. ભાઈ પાંચ-પંદર દિવસ મોડું આપણું કામ થાય છે. તો એવી શું ઉતાવળ છે તો અગિયારસ તો કાયમ આવે જ છે. કાશીગીરીજીની આ માર્મિક ટકોર જીવીદાસજી બાપુ સમજી-ગયાં. આ મહાન સંતની વાત માન્ય રાખી પોતાના આવેલાં સ્વર્ગનાં વિમાન પાછા હટાવ્યા અને પછી પોતે સંવત ૨૦૧૧ના ચૈત્ર સુધી અગિયારસના * રોજ પોતે ખાટલા ઉપરથી નીચે ઊતરી આસન વાળી બેસી ગયાં અને તે સમયે કાશીગીરીજી મહારાજ તથા ખેરવાના સેવકો પાસેથી રજા લઈ રામનામ બોલતાં દેવલોક સિધાવ્યાં.
તેમની સમ્રાધિ ખેરવા ગામે દેવા જતાં હતાં તે પહેલાં ગેડિયાના રબારી નારાયણભાઈ રામસિંગભાઈ જ માલ ચારતા હતા ત્યાં ખેરવાના મારગે તેમને મળી અને દર્શન દીધા. ઘોડી ખેરવાના મારગે રવાના કરી. થોડો વખત જતાં તેમની પાલખીનાં દર્શન થયાં. એટલે નારાયણભાઈની ઉંમર નાની હોવાથી તે બી ગયાં કે આ શું ? હમણાં તો મને મળીને ગયાં ને અત્યારે હું પાલખીનાં દર્શન કરું છું. આમાં સાચું શું? મને કાંઈ સાચી સમજણ પડતી નથી. સાંજે ઘેર આવીને તેમનાં પિતાજીને વાત કરી અને તેમના બાપુજીએ કહ્યું કે, એ તો સદાને માટે જીવતાં જ છે.
જીવીદાસજીને બે પુત્રો હતા. તેઓ પાંચ-પાંચ વર્ષની ઉંમરે બંને પુત્રોની અલગ સમાધિ માગીને સમાધિએ બેઠેલા છે, મોટા પુત્રનું નામ કરશનદાસજી તથા નાના પુત્રનું નામ બાલકદાસજી હતું. બંને ભાઈઓની બેરવા અખાડામાં અલગ સમાધિ છે.
ત્યાર પછી જીવીદાસ બાપુના પિતાશ્રી રવિદાસજી બાપુ પુત્રોનાં વિયોગે છ માસના પછી એટલે કે સંવત ૨૦૧૧ના રોજ બીજા ભાદરવા સુદ-૧૧-જળ ઝીલણી અગિયારસનાં દિવસે બપોરનાં સાડા અગિયારના સમયે દેવલોક પામ્યા. ને તેમનાં પાંચ પુત્રો તથા તેમના કાકા સુરદાસજીએ મળી તેમનો ટુકડો સંવત ૨૦૧૧ના આસો સુદ પુનમને સોમવારે કર્યો તથા નારાયણદાસજીને ગાદી તિલક કર્યું અને ગાદીએ બેસાડયા. ગાદી તિલક મોટા ગોરૈયાના મહંતશ્રી ડુંગરભારતી ગુરુ શ્રી રાજભારતીના હસ્તે કરવામાં આવ્યું.
ત્યારે નારાયણદાસજીની ઉંમર ૧૩ વર્ષની હતી. તેર વર્ષની ઉંમરે ઠાકોરજીની સેવાપૂજા કરતાં હતા. સંવત ૨૦૨૨ની સાલમાં જગ્યાનો બધો જ ભાર પોતાના હાથમાં આવ્યો. ત્યાં ઘણો સમય વિતાવ્યા બાદ તેમને સંવત ૨૦૪૦ના વૈશાખ સુદી-૧૧ને શુક્રવાર તા. ૧૧-૫-૮૪ થી વૈશાખ સુદ ૧૩ને રવિવાર તા.૧૩-૫-૮૪ સુધી ત્રણ દિવસ મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન મહંત શ્રી નારાયણદાસજી બાપુના હસ્તે થયું હતું. તે સમયે તેમની ઉંમર ૪૧ વર્ષની હતી.
પંચકુડી મહા વિષ્ણુયજ્ઞ વિશે ભૂમિપૂજન ચૈત્ર વદી-૮ને સોમવાર તા. ૨૩-૪-૮૪ સવારે ૬ થી ૭-૩૦ કલાકે મહંત શ્રી નારાયણદાસ બાપુ તથા તેમનાં ધર્મપત્ની ગંગાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું.
તે મહા વિષ્ણુયજ્ઞમાં ભરવાડ સમાજ તથા દરેક સેવકો તથા અઢારે કોમ આવી હતી. તેમાં મોટી જગ્યાઓના મહંતો પણ પધારેલાં હતાં. પાળિયાદ પીરાણાની જગ્યાના મહંતશ્રી અમરાબાપુ, વડવાળા દેવ દુધરેજની જગ્યાના મહંતશ્રી કલ્યાણદાસજી બાપુ, લાલજી મહારાજની જગ્યાના મહંતશ્રી તુલસીદાસ બાપુ, સીતાપુરની જગ્યાના મહંતશ્રી શિવરામબાપુ, ખરડાની જગ્યાના મહંતશ્રી, સુરજદેવળની જગ્યાના મહંતશ્રી હરિવલ્લભદાસજી તથા ભરવાડ સમાજની જગ્યાઓના ભક્તો પણ હાજર હતા. શ્રી ગેડિયાના ગ્રામજનો તથા સહકુટુંબના સહકારથી આ મહા વિષ્ણુયજ્ઞનું આયોજન થયું હતું.
ગેડિયા કાળવાનાથના મંદિરમાં ગામ ગેડિયાના હરિજનની ધજા ચડે છે તથા જે મહંત ગાદીએ હોય તેને ચાદર ઓઢાડવામાં આવે છે. તે પણ હરીજનભાઈઓ તરફથી ઓઢાડવામાં આવે છે અને ઠાકોરજીના કળશમાં તેમનાં આપેલ ભેટના પૈસા મૂકવામાં આવે છે.
ત્યાર બાદ જન્માષ્ટમીના દિવસે દરેક ભાઈઓની જે માનતાઓ હોય તે ત્યાર બાદ લેવામાં આવે છે, ત્યાં સુધી માનતાઓ સ્વીકારવામાં આવતી નથી.
મંદિરની અંદર જન્માષ્ટમીના દિવસે પાંચ શ્રીફળ હોમવામાં આવે છે. ત્યાર બાદ ઠાકોરજીને થાળ ધરાવવામાં આવે છે. તે થાળ આખા મગ તથા બાજરીનો ખીચડો બનાવવામાં આવે છે અને તે ખીચડાનું રંગાળુ જન્માષ્ટમીના દિવસે પહેલું ચડાવવામાં આવે છે. ત્યાર બાદ બીજી રસોઈ તૈયાર કરવામાં આવે છે.
થાળ ધરાવ્યા પછી જ હરિહરનો સાદ પડે છે તથા ફળાહારવાળાને ફળાહાર પણ આપવામાં આવે છે. જન્માષ્ટમી તથા અષાઢી બીજના દિવસે પીરસવામાં વર્ષોથી બંધારણવાળા રાજપરના ભરવાડ રામભગતના વંશ વારસો આજે પણ ઠાકોરજીની સેવા કરતાં આવે છે. ઘીની વાઢી તેઓના હાથમાં પહેલા લેવામાં આવે છે.
શ્રી ગેડિયા કાળવાનાથના મંદિરની સ્થાપનાને આશરે ૪૦૦ (ચારસો) વર્ષ થયેલ છે.
તેનો જૂનો ઈતિહાસ ટૂંકમાં હતો તેને લખતર તાલુકાના પેઢડા ગામના વતની સ્વ. શ્રી રાણા દેવુભા લધુભાએ ખૂબ મહેનત કરીને સંવત-સાલો તથા વિગતો મેળવીને કાળવાનાથની જગ્યામાં અઠવાડિયું રહીને ઉપરોક્ત ઈતિહાસ પૂર્ણ કરેલ છે. તે ચારણીય સાહિત્યકાર અને દેવી ઉપાસક હતા અને તેમને કાળવાનાથના ભજનો, છંદો અને દુહાઓ ગાયેલા છે.
કાળવાનાથની જગ્યાને ગુરુદ્વાર માનતા હતા અને તેમના પરમ ભક્ત હતા.
મહંતશ્રી નારાયણદાસ બાપાનો ઈતિહાસ
વર્તમાન મહંતશ્રી નારાયણદાસ બાપા